દેવાધિદેવ મહાદેવજી, ભગવાન વિષ્ણુ અને પિતૃઓની કૃપા મેળવવાનો દિવસ એટલે સોમવતી અમાસનો દિવસ. જ્યોતિષશાસ્ત્ર મુજબ આ વર્ષે તા.૨૩મી માર્ચ, ૨૦૨૦ના રોજ બપોરે ૧૨.૩૧થી સોમવતી અમાસનો પ્રારંભ થાય છે. જે મંગળવારે ૧૪.૫૮ સુધી રહે છે.
સોમવતી અમાસનું મહત્ત્વ એટલા માટે સવિશેષ છે કેમ કે તે સંતતિ, સંપત્તિ અપાવનારી પુણ્યફળદાયી તિથિ છે. આ દિવસે મહાદેવજી, પિતૃ, વિષ્ણુ ભગવાનનું સ્મરણ કરવું ઉત્તમ માનવામાં આવ્યું છે.
બીજી રીતે કહીએ તો આ દિવસે હર-હરિ અને પિતૃ –ની ઉપાસનાની ત્રિવેણીનો સંગમ થાય છે. ખાસ કરીને પિતૃઓની કૃપા માટે પ્રયત્ન કરવાથી સુખ-શાંતિ-સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સોમવતી અમાસનું ખાસ મહત્વ છે. સામાન્ય રીતે વર્ષમાં તે એકાદ-બે વખત જ આવતી હોય છે.
સામાન્ય રીતે અમાસનું મહત્ત્વ તો હોય જ છે, પણ તેમાં સોમવાર અને અમાસનો સંયોગ થતાં સોમવતી અમાસ છે અને મૌની અમાસનો પણ સંયોગ થઇ રહ્યો છે. જે એક વિશિષ્ટ સંયોગ કરાવી રહી છે. આ દિવસ શિવ-પિતૃ પૂજન માટે પણ શ્રેષ્ઠ છે.
ખાસ કરીને આ દિવસે ભગવાન વિષ્ણુ અને પીપળાનાં પૂજનનું પણ કરી શકાય છે. ખાસ કરીને પીપળાની ૧૦૮ વખત પ્રદક્ષિણા પણ કરી શકાય છે. સાથે જ ‘ઓમ્ વિષ્ણવે નમ:’ મંત્રની માળા કરવી.