મહારાષ્ટ્રના બુલઢાણામાં લોખંડના સળિયા ભરેલી ટ્રક પલટી ખાતા 13 લોકોના મોત થયા છે. બુલઢાણાના સિંધખેડાજામાં શુક્રવારે બપોરે 2 વાગે આ ટ્રક પલટી ખાધી હતી. ટ્રક પર 16 લોકો બેઠેલા હતા. ઘટનામાં જીવીત 3માંથી 2 લોકોને જાલનાની જિલ્લા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ત્યાં તેમની હાલત ગંભીર ગણાવવામાં આવી છે. જે હાઈવે પર આ ઘટના થઈ છે તેનું નામ હિન્દુ હ્રદય સમ્રાટ બાલાસાહેબ ઠાકરે સ્મૃતિ હાઈવે છે.
પોલીસના જણાવ્યા પ્રમાણે, હાઈવેના તાડેગામ-દસરબીડ સેક્શનથી પસાર થતી વખતે ટ્રકની સ્પીડ ખૂબ વધારે હતી અને તેના પર વજન પણ વધારે હતું. તેથી ટ્રક બેકાબુ થઈને પલટી ખાઈ ગઈ હતી. ટ્રક પલટી ખાધા પછી સળિયા નીચે દબાવાના કારણે 8 લોકોના ઘટના સ્થળે જ મોત થયા હતા. જ્યારે બાકીના લોકોના સારવાર દરમિયાન મોત થયા હતા. દરેક મૃતક ઉત્તર પ્રદેશ અને બિહારના હતા. તેઓ મજૂરીકામ માટે મહારાષ્ટ્ર આવ્યા હતા. તસવીરોમાં જુઓ ર્દુઘટના પછીની સ્થિતિ.
બસને સાઈડ આપવામાં કિચડમાં ફસાયું ટ્રકનું ટાયર
ર્દુઘટનામાં જીવીત એક મજૂરે જણાવ્યું કે, રસ્તા પર પાણી હતું અને પાછળથી આવતી એક બસને સાઈડ આપતી વખતે ટ્રક નંબર MH 11 CH 3728નું એક ટાયર કિચડમાં ફસાઈ ગયું હતું. ટ્રકની સ્પીડ વધારે હોવાના કારણે ટ્રક પલટી ખઈ ગઈ. ટ્રકમાં લોખંડના હજારો નાના-નાના ટૂકડાં હતા. ગાડી પલટી ખાતા દરેક 16 મજૂરો ટ્રક નીચે ફસાઈ ગયા. તેના કારણે જે ઉપરની સાઈડ બેઠા હતા તે મજૂરો બચી ગયા હતા. જે નીચેના ભાગે બેઠા હતા તેઓ ટ્રક નીચે દબાઈ ગયા હતા.
હાઈવે પર બનનારા બ્રિજના સળીયા લઈ જતી હતી ટ્રક
કિંગાંવ રાજા પોલીસ સ્ટેશનના ઈન્સપેક્ટર સોમનાથ પવારે જણાવ્યું કે, દુસર બીડથી લોખંડના સળીયા લઈને આ ટ્રક તાડેગામમાં એક રોડ નિર્માણ સાઈડ પર જઈ રહી હતી. આ ટ્રકમાં જે સળિયા ભરવામાં આવ્યા હતા તેનો ઉપયોગ સમૃદ્ધી હાઈવે પર બનનાર એક બ્રીજમાં થવાનો હતો. જોકે અત્યાર સુધી મૃતકોના નામ જાણવા મળ્યા નથી.