ગુજરાતના 600 શિલ્પકાર ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં 55 ફૂટ ઊંચું, 54 ફૂટ પહોળું, 72 ફૂટ લાંબું અને 1 હજાર વર્ષ ટકી રહે તેવું જિનાલય તૈયાર કરશે

ગુજરાતના 600થી વધુ શિલ્પકારો ઓસ્ટ્રેલિયાના મેલબોર્ન ખાતે સૌથી મોટા શિખરબદ્ધ જિનાલયનું નિર્માણ કરશે. સોમપુરા સમાજના અગ્રણી તેમજ પ્રખ્યાત શિલ્પકાર રાજેશ સોમપુરના જણાવ્યા અનુસાર આ જિનાલય 55 ફૂટ ઊંચું, 54 ફૂટ પહોળું, અને 72 ફૂટ લંબાઈ ધરાવતું જિનાલય હશે. આ જિનાલયનું નિર્માણ 3 વર્ષમાં પૂરું કરવાનો ટાર્ગેટ છે.આ જિનાલય એ રીતે તૈયાર કરવામાં આવશે કે તેનું આયુષ્ય 1 હજાર કે તેથી વધુ વર્ષ સુધી રહેશે.જિનાલયને તૈયાર કરવા દિવસ રાત શિલ્પકારો કામગીરી કરી રહ્યા છે. અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પણ સોમપુરા સમાજના શિલ્પીઓ દ્વારા થઈ રહ્યું છે.
જિનાલયમાં લોખંડ-સિમેન્ટનો ઉપયોગ નહીં થાય
જિનાલયમાં 1500 ટન રાજસ્થાન મકરાના પ્લોર માર્બલનો ઉપયોગ કરવામાં આવશે, આગામી થોડા દિવસોમાં 20 જેટલા સોમપુરા સમાજના શિલ્પકારો મેલબોર્ન જશે. સમગ્ર જીનાલયમાં લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કરવામાં નહિ આવે. તમામ પથ્થર ગુજરાતથી સમુદ્ર માર્ગ મારફતે મોકલવામાં આવશે. 3 વર્ષના સમય ગાળામાં આ જિનાલય તૈયાર થઈ જશે. અત્યાર સુધી 30% જેટલું કાર્ય કારીગરો દ્વારા સંપૂર્ણ કરવામાં આવ્યું છે.
શિલાન્યાસમાં 21 શિલ્પની પૂજા કરાઈ હતી
મેલબોર્ન જૈન સંઘના પ્રમુખ નીતિન જોશીએ જણાવ્યું કે, આ જિનાલય માટે 4 ઓગસ્ટે શિલાન્યાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રકારનું સૌથી મોટું જિનાલય સમગ્ર ઓસ્ટ્રેલિયામાં નથી. જિનાલયના શિલાન્યાસ કાર્યક્રમ પ.પૂ. આ જગવલ્લભસૂરીશ્વરજી મહારાજાની હાજરીમાં યોજાયો હતો. સાથે સાથે 21 શિલ્પની પણ પૂજા કરવામાં આવી હતી. આ જિનાલય સમગ્ર ઓસ્ટ્રેલિયાનું પહેલું અને સૌથી ઊંચું શિખરબદ્ધ જિનાલય બનવા જઈ રહ્યું છે.