એક સત્ય ઘટના – કોઈ પણ દવા લીધા વગર ..કબજીયાત કાયમ માટે દૂર થઈ.. જુઓ કેવી રીતે

Posted by

દરરોજ નિયમિત મળશુદ્ધિ ન થવી તેને આપણે કબજીયાત કહીએ છીએ. પરંતુ આરોગ્યની દ્રષ્ટિએ ખોરાકનાં યોગ્ય પાચન અને શોષણ બાદ શરીર માટે અનાવશ્યક એવા મળનો સંપૂર્ણપણે નિકાલ કોઇપણ શારીરિક આયાસ-જોર લગાવ્યા વગર થાય તેને સ્વાભાવિક મળપ્રવૃત્તિ કહેવાય. દરરોજ મળ પ્રવૃત્ત થતો હોય પરંતુ તે દરમ્યાન પેટનાં સ્નાયુઓ પર દબાણ કરવું પડતું હોય, મળ પ્રવૃત્તિની શરૂઆત કે અંત સમયે મળાશયને પૂરી રીતે ખાલી થાય તે માટે જોર કરવું પડતું હોય તો તે પણ કબજીયાત કહેવાય. મળનું બંધારણ ખૂબ કઠણ હોય કે ગાંઠો થઇ જતી હોય તો મળપ્રવૃત્ત થવામાં વાર લાગે, મળદ્વારના સ્નાયુ-રક્તવાહિની પર દબાણ-ઘર્ષણ થવાથી પાઈલ્સ, ફિશર કે મળદ્વારમાં સોજો-બળતરા જેવી તકલીફ થતી હોય છે. આથી જ કબજીયાતનાં નિદાન માટે માત્ર દરરોજ મળપ્રવૃત્તિ થાય છે કે કેમ ? તેટલું માત્ર જોવાતું નથી. શરીરમાંથી બહાર ધકેલવા લાયક મળ યોગ્ય સમયે, સંપૂર્ણપણે અને કુદરતી આવેગ સાથે સરળતાથી પ્રવૃત્ત થાય છે કે કેમ તે દરેક બાબત મહત્વપૂર્ણ છે.

શરીરને પડતી શક્તિની જરૂરિયાત પૂરી પાડવા જે રીતે ભૂખ-તરસનાં સ્વાભાવિક સંવેદનો અનુભવાય છે. તેવી જ રીતે ખોરાકનાં પાચન-પોષણ બાદ બીનજરૂરી મળરૂપ પદાર્થનાં નિકાલ માટે મળપ્રવૃત્તિનાં સંવેગ પણ કુદરતી રીતે અનુભવાય તથા મળનાં આવેગને રોકવામાં ન આવે તે આરોગ્ય માટે જરૂરી છે.

આયુર્વેદ રોગ થવાનાં વિવિધ કારણો પૈકી કુદરત દ્વારા મોકલાતા સંકેતરૂપી ભૂખ, તરસ, છીંક, બગાસુ, મળ-મૂત્ર પ્રવૃત્તિ વગેરેનાં વેગને પરાણે રોકવાને પણ ગણાવે છે. વેગને રોકવાથી શરીરનાં વિવિધ અવયવોનાં તાલમેલથી થતી બહુવિધ, બહુઆયામી જૈવરાસાયણિક પ્રક્રિયામાં અવરોધ ઉભો થાય છે. જેની આડઅસર રોગોનું કારણ બને છે. આથી જ સમયાભાવ, અન્ય શારીરિક-માનસિક કાર્યપ્રવૃત્તિમાં વ્યસ્તતાને પરિણામે મળપ્રવૃત્તિનાં વેગને પણ રોકવામાં આવે તો, તેની આડઅસર પાચનતંત્રની વિવિધ ક્રિયા પર થાય છે. ખાસ કરીને બાળકોને સવારે વ્હેલા સ્કૂલ-કોલેજ મોકલવા, ઘરકામ પતાવી સ્ત્રીઓને ઓફિસ કે વ્યવસાય માટે જવાની ભાગદોડ, ઉચાટ, સમયાભાવ જેવા કારણસર શરીર દ્વારા મળપ્રવૃત્તિ માટે આવશ્યક સંવેદનો અવગણાય છે, તેની પણ આડઅસર મળપ્રવૃત્તિની નિયમિતતા પર થતી જોવા મળે છે.

કબજીયાત દૂર કરે તેવા ઉપાયો:

આંતરડાની ગતિમાં નિયમિતતા – સક્રિયતા માટે – ખોરાકમાં લીલા પત્તાવાળા, રેસાવાળા શાકભાજીનું પ્રમાણ વધારવું, મેથી-પાલક-તાંદડજો-સરગવાના પાન-બથવાની ભાજીનો સમાવેશ નિયમિત અંતરાલે કરવો. ઘઉં, ચોખા, દાળ ઉપરાંત ફોતરાવાળા કઠોળ કે ઉગાડેલા કઠોળ, કચુંબર, પપૈયા-ચીકુ-કેળા જેવા ફળોનો સમાવેશ કરવો. બંને સમયે નિયમિત સમયે તાજો, ગરમ ખોરાક ખાવો. ખોરાકમાં દાળ, સૂપ, કઢી, રસમ જેવા પ્રવાહી ખોરાક ઉમેરવા. પાતળી-મોળી છાશ સંચળ-શેકેલું જીરૂ ઉમેરી પીવું.

મેંદો, બિસ્કીટ, પિઝા, બેકરી આઈટમ્સ નાસ્તામાંથી દૂર કરી તાજા સિઝનલ ફળો, બદામ, ખજૂર જેવા તૈલી-રેસાયુક્ત કુદરતી ફળો ખાવા.

કેળાં-ચીકુ-પપૈયા, નાસપતિ, પાઈનેપલ જેવા ફળોમાં રહેલાં રેસા અને પાચક-સારક ગુણ કબજીયાત મટાડે છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *