ગુજરાતમાં ચાર દિવસ હળવો વરસાદ રહેવાની સંભાવના દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્ર માટે વ્યક્ત કરવામાં આવી રહી છે. હવામાન વિભાગે સુરત, તાપી સહિતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોમાસા અને ગુજરાતમાં ભારે વરસાદ અંગે કેટલીક આગાહીઓ કરી છે.
ગુજરાતના હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વરસાદ રહેવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. બુધવારે મનોરમા મોહંતીએ રાજ્યમાં પાંચ દિવસ અલગ-અલગ ભાગોમાં વરસાદ રહેવાની વાત કરી હતી. અંબાલાલ પટેલે ચોમાસું કર્ણાટકમાં ગૂંચવાયું હોવા છતાં ગુજરાતમાં 25-30 જૂનમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલે જણાવ્યું છે કે, વાવાઝોડા અને ચોમાસાની અસરથી ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ છે. આ તરફ હવામાન વિભાગે આગામી દિવસમાં રાજ્યના દક્ષિણ ભાગમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે
વાવાઝોડું ખેડૂતો માટે આશીર્વાદરૂપ સાબિત થયું છે, વાવાઝોડાના કારણે વાવણી લાયક વરસાદ થયો છે. હવે આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદ રહેવાની સંભાવનાઓના કારણે ખેડૂતોમાં ખુશી છે. જોકે, ચોમાસું ક્યારે બેસશે તેને લઈને ખેડૂતોને મોટો સવાલ થઈ રહ્યો છે..
સામાન્ય રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ ચોમાસાની શરુઆત થતી હોય છે પરંતુ આ વર્ષે વાવાઝોડાના કારણે ચોમાસાની સિસ્ટમ પર અસર થઈ છે, જોકે, અગાઉ દેશના હવામાન વિભાગે ચોમાસાની સિસ્ટમ આગળ વધવા માટે સાનુકૂળ હોવાનું જણાવ્યું હતું.
અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતી જણાવે છે કે, ગુજરાતમાં આગામી 5 દિવસ સામાન્ય વરસાદની શક્યતા છે. કારણે કે, ભેજ આવી રહ્યો છે. જેના કારણે વાદળછાયું વાતાવરણ રહેશે. જોકે, ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તેની કોઈ સ્પષ્ટતા કરી નથી.
પાંચ દિવસની બુધવારે કરવામાં આવેલી આગાહી પ્રમાણે આજે ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોનો સમાવેશ થાય છે. જેમાં દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, ડાંગ, તાપીમાં આજે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આગામી ત્રણ દિવસ દરમિયાન સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ તથા સૌરાષ્ટ્રના પોરબંદર, ગીર સોમનાથ, જૂનાગઢ અને દીવમાં વરસાદ થવાની શક્યતાઓ છે. જોકે, હવામાન વિભાગ દ્વારા આ ચાર દિવસો માટે કોઈ ચેતવણી આપી નથી. આ દિવસોમાં હળવો વરસાદ થવાની શક્યતાઓ છે.
રાજ્યમાં હાલ નોંધાઈ રહેલા તાપમાનમાં પણ કોઈ મોટા ફેરફાર નહીં થવાની શક્યતાઓ હવામાન વિભાગે વ્યક્ત કરી છે. બુધવારે વલ્લભ વિદ્યાનગર 38 ડિગ્રી તાપમાન સાથે સૌથી ગરમ શહેર રહ્યું હતું. જે પછી અમદાવાદ, વડોદરા સહિત અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગરમાં તાપમાન 37 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
સૌથી નીચું મહત્તમ તાપમાન ઓખામાં 32 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય ગાંધીનગરમાં 35 ડિગ્રી, રાજકોટમાં 36 ડિગ્રી, સુરતમાં 34 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.
વાવાઝોડાની સંતાકૂકડીના લીધે ભારતમાં ચોમાસું કંઈક નવી જાતનું રહેવાની શક્યતાઓ છે તેમ અંબાલાલ પટેલે જણાવ્યું છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ નથી થયો ત્યાં પણ વરસાદ થવાની શક્યતાઓ છે. અંબાલાલે 25-30 દરમિયાન રાજ્યમાં ભારે વરસાદ થવાની અને નદીઓમાં નવા નીર આવવાની આગાહી કરી છે.