અફઘાનિસ્તાનમાં 20 વર્ષ બાદ તાલિબાને ફરી કબજો જમાવ્યો છે. 15 ઓગસ્ટે તાલિબાને કાબુલ પર હુમલો કર્યો અને કબજો જમાવ્યો હતો ત્યાર બાદ રાષ્ટ્રપતિ અશરફ ગનીએ દેશ છોડી દીધો. સામાન્ય લોકો પણ કોઈપણ કિંમતે દેશ છોડવાનો પ્રયત્ન કરી રહ્યા છે. અત્યાર સુધી હજારો લોકો દેશ છોડી ગયા છે, પરંતુ હવે તાલિબાને ચેતવણી આપી છે કે તેઓ હવે અફઘાનમાં રહેલા લોકોને દેશ છોડવા નહીં દે.
તાલિબાનના પ્રવક્તા ઝબીઉલ્લાહ મુજાહિદે મંગળવારે મીડિયાને જણાવ્યું હતું કે હવે કોઈપણ અફઘાનને દેશ છોડવાની છૂટ નહીં મળે. જો કે, વિદેશી નાગરિકો તેમના દેશમાં પરત ફરી શકે છે. મુજાહિદે કહ્યું, ‘એરપોર્ટનો રસ્તો રોકી દેવામાં આવ્યો છે. અફઘાનીઓ તે રસ્તા પરથી એરપોર્ટ પર જઈ શકતા નથી, પરંતુ વિદેશી નાગરિકોને એરપોર્ટ પર જવા દેવામાં આવશે.
ઝબીઉલ્લાહે કહ્યું કે તમામ અફઘાન નાગરિકો જે ભૂતકાળમાં દેશ છોડી ચૂક્યા છે, તેઓએ તેમના દેશમાં પાછા ફરવું જોઈએ. તાલિબાને કહ્યું, ‘અમે હવે અફઘાનોને દેશ છોડવા નહીં દઈએ અને અમે તેનાથી ખુશ પણ નથી. અફઘાનિસ્તાનના ડોકટરો અને વિદ્વાનોએ દેશ છોડવો જોઈએ નહીં અને તેઓને જોઈએ દેશમાં જ કામ કરવું જોઈએ.
તાલિબાનોએ સત્તા સંભાળી ત્યારથી હજારો લોકોએ અફઘાનિસ્તાન છોડી દીધું છે. તેમાંથી મોટાભાગની મહિલાઓ છે. યુએસ પ્રમુખ જો બાઇડેને (Joe Biden) કહ્યું કે 14 ઓગસ્ટથી 70 હજારથી વધુ લોકોને કાબુલમાંથી બહાર કાવામાં આવ્યા છે. તેમાં અમેરિકન નાગરિકો, નાટોના કર્મચારીઓ અને જોખમમાં રહેલા અફઘાન નાગરિકોનો સમાવેશ થાય છે.
વ્હાઈટ હાઉસના પ્રેસ સેક્રેટરી જેન સાસાકીએ તાલિબાનના આ નિવેદન પર જણાવ્યું હતું કે તેનાથી અમેરિકા મોકલવામાં આવેલા અફઘાનને કોઈ અસર નહીં થાય. તેમણે કહ્યું કે તાલિબાનને પણ આ અંગે જાણ કરવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે આવા લોકોને એરપોર્ટ સુધી પહોંચવા દેવા જોઈએ.