ખેડૂત માટે ખેતર અને તેના પશુ ખૂબ જ કિંમતી હોય છે. તેના માધ્યમથી જ તે પોતાની રોજીરોટી કમાઈને કુટુંબનું ગુજરાન ચલાવે છે. એવામાં જો કોઈ ખેડૂતને ખબર પડે કે એક સેકન્ડમાં જ તેના 500 ઘેટાં મરી ગયા છે, તો આ તેના માટે ઘેરા આઘાત સમાન છે. સાઉથ જ્યોર્જિયામાં રહેનારા એક પશુપાલક ના અચાનક 500 ઘેટાં મરી ગયા. મળતી જાણકારી મુજબ, તમામ ઘેટા આકાશમાંથી વીજળી ત્રાટકતાં તેની ઝપટમાં આવી ગયા. ત્યારબાદથી પશુપાલકની સ્થિતિ રડીરડીને ખરાબ થઈ ગઈ છે.
સ્થાનિક ન્યૂઝ રિપોર્ટ્સ મુજબ, પશુપાલકનું નામ નિકોલાય લેવાનોવ છે. તેના ઘેટાને બીજા પશુપાલકના ખેતરમાં ચરાવવા માટે લઈ ગયો હતો. વરસાદની સીઝનમાં પહાડો પર ઉગેલા લીલા ઘાસ ખાતા ઘેટાંને શું ખબર હતી કે તેમનું મોત આકાશમાંથી આવવાનું છે. ઘેટા આરામથી ચરી રહ્યા હતા કે અચાનક આકાશમાંથી તેજ પ્રકાશરૂપે વીજળી ત્રાટકી. ક્ષણભરમાં જ 500 ઘેટા તેની ઝપટમાં આવી ગયા અને ત્યાં જ તેમના મોત થયા. આ દુર્ઘટનામાં તેમને ચરાવી રહેલો પશુપાલક પણ ઝપટમાં આવી ગયો. જોકે, તે માત્ર બેભાન થયો. તેનો જીવ બચી ગયો.
સોશિયલ મીડિયા પર આ દુર્ઘટનાનો એક વીડિયો પણ શૅર કરવામાં આવ્યો છે, જેમાં ખેતરમાં મરી ગયેલા ઘેટા જોવા મળી રહ્યા છે. અહેવાલ મુજબ, નિકોલાયના ઘેટા ઉપરાંત 400 અન્ય ઘેટાં પણ દુર્ઘટનામાં માર્યા ગયા. નિકોલાયને તેના ઘેટાના મોતના સમાચાર ફોનથી આપવામાં આવ્યા, ત્યારબાદથી તેની હાલત ખરાબ છે. આ દુર્ઘટના બાદ વિસ્તારના ખેડૂતોએ સરકાર પાસે મદદ માંગી છે. તેમણે કહ્યું છે કે સરકારને તેમને આર્થિક મદદ કરવી જોઈએ.
દુર્ઘટનાને લઈ નિનોટ્સમિંડાના ડેપ્યુટી મેયર એલેક્ઝાંડર મઇકેલાદજેએ કહ્યું કે, એરિયામાં આવો પહેલો મામલો છે. અત્યાર સુધી ક્યારેય વીજળી પડવાથી આટલા ઘેટાના મોત નથી થયા. તેમણે ભરોસો આપ્યો કે પીડિત પરિવારોને મદદ ચોક્કસ પૂરી પાડવામાં આવશે. પરંતુ તેના માટે ખેડૂતને પોતે પુરવાર કરવું પડશે કે એક સાથે આટલા બધા ઘેટા કેવી રીતે મરી ગયા. મળતી માહિતી મુજબ, આ મામલો 12 ઓગસ્ટનો છે. હાલ આ મામલાને લઈ તપાસ શરૂ કરી દેવામાં આવી છે.