રાજ્યમાં કાળજાળ ગરમી વચ્ચે અચાનક મેઘરાજાનું આગમન થતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો. વાતાવરણમાં આવેલા અચાનક પલટાના કારણે હવામાન વિભાગની આગાહી સામે આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે પણ રાજ્યના કેટલાક પ્રદેશોમાં કમોસમી વરસાદ થવાની શક્યતા છે. જો કે કેટલાક વિસ્તારોને બાદ કરતાં મોટાભાગના પ્રદેશોમાં હવામાન સૂકું રહેશે.
હવામાન વિભાગના વડા મનોરમા મોહંતીએ જણાવ્યું છે કે હાલ લોકલ કનેક્ટિવિટીની કોઈ સંભાવના જણાતી નથી. પરંતુ અરબ સાગર પરથી આવતાં પવનો પોતાની સાથે પુષ્કળ પ્રમાણમાં ભેજ લઈને આવતાં હોવાથી વાદળો બંધાઈ રહ્યાં છે અને રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. આ કારણે રાજ્યના કેટલાંક ભાગોમાં માવઠાની શક્યતા જોવા મળી રહી છે. ગઈકાલે અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો હતો.
હવામાન વિભાગના વડ મનોરમા મોહંતીએ એમ પણ જણાવ્યું છે કે તારીખ ૨૬ અને ૨૭ દરમિયાન વરસાદની કોઈ સંભાવના નથી પરંતુ તારીખ ૨૮ મે અને ૨૯ મે દરમિયાન વરસાદ પડી શકે છે. જો કે આ વરસાદ કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પડી શકે છે. ખાસ કરીને બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને સૌરાષ્ટ્રના અમરેલી, રાજકોટ અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે. તથા દક્ષિણ ગુજરાતના ભરૂચ અને આણંદમાં પણ વરસાદ પડી શકે છે.
વધુ વાંચો:-
હવામાન વિભાગે ચોમાસા અંગે શું કયું
હવામાન વિભાગે ચોમાસા અંગે આગાહી કરતા જણાવ્યું છે કે ૫ જુન સુધીમાં ગુજરાતમાં વરસાદ વરસી શકે છે. પણ પાછલા વર્ષોના અનુભવ પ્રમાણે ખરું ચોમાસું ૧૫ જુન પછી જ શરૂ થતું હોય છે. હાલ ૫ જુન સુધી માવઠાં જેવો અનુભવ થઈ શકે છે, પણ ભારે વરસાદ ૧૫ જુન પછી જ પડી શકે છે. હાલ જે વરસાદ વરસે તે કમોસમી વરસાદ કહી શકાય. કેરળમાં ચોમાસું આ વખતે પાંચ દિવસ મોડું પ્રવેશે તેવી સંભાવનાઓ વ્ય્કતિ કરવામાં આવી છે. તથા અંદમાન અને નિકોબારમાં આ વખતે ચોમાસું નબળું રહી શકે છે. હવામાન વિભાગે એમ પણ કહ્યું છે આ વખતે રાજ્યમાં ચોમાસું સરેરાશ કરતાં નબળું રહી શકે છે.
જિલ્લાવાર તાપમાનના આંકડાઓ પર એક નજર
આજે અરવલ્લી, ખેડા, પંચમહાલ અને બોટાદમાં તાપમાનનો પારો ૪૧ ડીગ્રી રહી શકે છે જ્યારે સુરેન્દ્રનગર, સાબરકાંઠા, મોરબી અને ગાંધીનગર અને અમદાવાદમાં ૪૦ ડીગ્રી જેટલી ગરમી પડી શકે છે. આજે અમરેલી, આણંદ, બનાસકાંઠા, છોટાઉદેપુર અને તાપી જિલ્લામાં મહત્તમ તાપમાન ૩૮ ડીગ્રી જેટલું રહી શકે છે. જ્યારે વડોદરા અને મહિસાગર જિલ્લામાં આજે ૪૨ ડીગ્રી જેટલું મહત્તમ તાપમાન રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આજે રાજકોટ, પોરબંદર, ભરૂચ, ડાંગ, અને નવસારીમાં મહત્તમ તાપમાન ૩૫ ડીગ્રી જેટલું રહી શકે છે, જ્યારે ભાવનગર જિલ્લામાં ૩૯ ડીગ્રી જેટલું તાપમાન રહેવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. આજે સુરત અને ગીર સોમનાથમાં ૩૩ ડીગ્રી જેટલું તાપમાન રહેશે. દેવભુમિ દ્વારકા અને વલસાડ જિલ્લામાં આજનું આજનું મહત્તમ તાપમાન ૩૪ ડીગ્રી જેટલું રહી શકે છે. આજે સામાન્ય રીતે દરેક જિલ્લાના તાપમાનમાં ઘટાડો જોવા મળી શકે છે જેથી લોકોને ગરમીમાંથી રાહત મળશે.
વધુ વાંચો:-