હિંદુ ધર્મમાં એવા ઘણા છોડનો ઉલ્લેખ છે, જેમાં દેવી દેવતાઓનો વાસ હોય છે. આમાંથી જ એક છે તુલસીનો છોડ. હિંદુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે. તુલસીના છોડને પૂજનીય સ્થાન આપવામાં આવ્યું છે. તુલસીનો છોડ તીર્થસ્થાન સમાન છે એટલે દરરોજ તેની પૂજા અને પ્રદક્ષિણા કરવી જોઈએ. સનાતન ધર્મમાં તુલસીને મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. મોટાભાગના લોકો ઘરમાં સકારાત્મક ઉર્જા માટે તુલસીનો છોડ લગાવે છે અને તેની પૂજા કરે છે. આ છોડમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે, તેથી તુલસી ભગવાન વિષ્ણુને પણ ખૂબ પ્રિય છે.
પ્રાચીન કાળથી ઘરમાં તુલસીનો છોડ લગાવવાથી અને તેમાં દરરોજ જળ ચઢાવવાની પરંપરા ચાલી રહી છે. લોકો દરરોજ તુલસીની પૂજા કરે છે અને સમૃદ્ધિ માટે અને ઘરની આર્થિક તંગી દૂર કરવા માટે તેને જળ ચઢાવે છે. જો કે તુલસીને જળ અર્પણ કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે.
રવિવારના દિવસે ન તોડો તુલસીના પાન
દરરોજ તુલસીની પૂજા કરવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમના આશીર્વાદ મળે છે. સવારે સ્નાન કર્યા પછી જ તુલસીની પૂજા કરવી જોઈએ. સૂર્યોદય પછી જ આ છોડને પાણી ચઢાવવું યોગ્ય માનવામાં આવે છે. રવિવારના દિવસે તુલસીના છોડના પાન ક્યારેય ન તોડવા જોઈએ. તેનાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી નારાજ થાય છે.
રવિવારે ન આપવું જોઈએ તુલસીમાં પાણી
તુલસીજીને નિયમિત જળ અર્પિત કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ શાસ્ત્રો અનુસાર રવિવારે તુલસીને જળ ચડાવવું જોઈએ નહીં. પૌરાણિક માન્યતાઓ અનુસાર તુલસી માતા રવિવારે ભગવાન વિષ્ણુ માટે નિર્જલા વ્રત રાખે છે. રવિવારે તેમને જળ અર્પણ કરવાથી તેમનું વ્રત તૂટી જાય છે. તેથી આ દિવસે તુલસીને જળ ચડાવવું જોઈએ નહીં. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર રવિવારે તુલસીના છોડને જળ અર્પિત કરવાથી નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે.
એકાદશી પર કેમ નથી આપવામાં આવતુ તુલસીમાં જળ
શાસ્ત્રો અનુસાર એકાદશીના દિવસે ન તો તુલસીના પાન તોડવા જોઈએ અને ન તો આ દિવસે તુલસીને જળ ચડાવવું જોઈએ. દેવઉઠી એકાદશીના દિવસે ભગવાન શાલિગ્રામ સાથે માતા તુલસીના વિવાહ કરાવવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે માતા તુલસી દરેક એકાદશી તિથિ પર ભગવાન વિષ્ણુ માટે નિર્જળા વ્રત રાખે છે. તેથી એકાદશી પર પણ તુલસીને જળ ચડાવવાની મનાઈ છે.