શારીરિક સંબંધમાં શા માટે ઉતાવળ કરવી?

સ્નેહાની ઉંમર 24 વર્ષ હતી, તેની સગાઈ થોડા સમય પહેલાં કવન સાથે થઇ હતી. આ એક એરેન્જ મેરેજ હતા, પણ બંનેને એકબીજા સાથે બહુ ફાવતું હતું, પણ કોણ જાણે કેમ બંને સાપુતારા ફરવા જઇને આવ્યાં પછી સ્નેહા કંઇક અપસેટ રહેવા લાગી હતી. આમ તો તે આખો દિવસ કવન સાથે વાતો કરતી રહેતી પણ સાપુતારાથી આવ્યા બાદ સ્નેહા વધારે વાર કવન સાથે વાતો કરવાનું ટાળતી હતી. આ સંજોગોમાં કવન પાંચથી છ વાર સ્નેહાને ઘરે મળવા આવી ગયો, તે તો નોર્મલ જણાતો હતો, પણ સ્નેહાની તકલીફ તેની મોટી બહેનને તેના મોં પરથી કળાતી હતી.
સ્નેહાની ઉદાસી વધારે વાર ન જોવાતા અનુ દીદીએ તેને તેના રૂમમાં બોલાવી અને બેસાડી. થોડી આડીઅવળી વાત કરીને તેને તેની ઉદાસીનું કારણ પૂછ્યું, પહેલાં તો સ્નેહાને ના કહી પણ અનુ દીદી એમ માને તેમ નહોતાં. તેમણે સ્નેહાને કહ્યું જો સ્નેહુ, હું તને નાનપણથી ઓળખું છું, તું ખોટું બોલીશ તો હું માની લઇશ એમ ન સમજતી. સ્નેહા અનુ દીદીની વાત સાંભળીને થોડી ઢીલી થઇ ગઇ. તેણે કહ્યુંઃ બીજી કોઇ સમસ્યા નથી દીદી, કવન મને ગમે છે, પણ અમે સાપુતારા ફરવા ગયાં ત્યારે અમે શારીરિક સંબંધ બાંધ્યો હતો.
મેં બહુ કંટ્રોલ કર્યો પણ સાચું કહું તો મારાથી પણ કંટ્રોલ ન થયો અને કવનથી પણ ન થયો, એટલે અમે ત્યાં ત્રણ વાર શારીરિક સંબંધ બાંધ્યો હતો, તે સમયે મને ખૂબ જ દુખાવો થયો હતો, બ્લીડિંગ પણ થયું હતું. પણ મને ખબર છે કે આવું થવું સ્વાભાવિક હતું. પણ હવે વાત એવી છે કે હજી પણ કવન શારીરિક સંબંધ બાંધવાનું કહે છે. તે કહે છે કે આપણાં લગ્ન થવાનાં જ છે તો શારીરિક સંબંધ બાંધવામાં વાંધો શું? તેને ખૂબ મન થાય છે. સાચું કહું મન તો મને પણ થાય છે, હું પણ તેની નજીક રહેવા માંગું છું.
તેની સાથે શારીરિક સંબંધ બાંધવા માંગું છું પણ મને ડર છે કે લગ્ન પહેલાં આમ વારંવાર શારીરિક સંબંધ બાંધીશું તો લગ્ન પછી અમારા માટે કંઇ નવું જ નહીં રહે, વળી મારી ફ્રેન્ડ રિયા સાથે તેના મંગેતરે આવું જ કર્યું હતું. તે લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધતો અને પછી તેણે છેલ્લે લગ્ન કરવાની ના કહી દીધી. મને પણ ડર લાગે છે. આ કારણે કવન અપસેટ રહે છે. તે કહે છે કે મને તેના ઉપર વિશ્વાસ નથી, પણ સાચું કહું દીદી એવું નથી. વિશ્વાસ ન હોત તો સાપુતારામાં જ ન રહી હોત. મને તે સમયે પણ ખૂબ ડર લાગતો હતો. લગ્ન પહેલાં શારીરિક સંબંધ ન બંધાય એવું આપણને સમજાવ્યું હોય એટલે ડર લાગે જ, પણ વિશ્વાસ નથી એવું નથી.
વેલ, સ્નેહા જેવી સમસ્યા ઘણીખરી છોકરીઓને હોય છે. લગ્ન પહેલાં છોકરાઓ શારીરિક સંબંધ બાંધવાની જીદ કરતાં હોય છે. મોટાભાગના કેસમાં છોકરીઓને ઇચ્છા અને ઉત્તેજના હોય જ છે, વળી મંગેતર ઉપર વિશ્વાસ પણ હોય છે તેથી કપલ બધી સીમાઓ ઓળંગી લે છે, એમાં કોઈ ખોટી વાત નથી, પણ ઘણી વાર એવા પણ કેસ બનતા હોય છે જેમાં છોકરો કે છોકરી લગ્ન કરવાની ના કહી દે ત્યારે શારીરિક સંબંધ બાંધી દીધા હોય તો છેતરાયાની લાગણી અનુભવાય છે. જે વ્યક્તિને માનસિક રીતે ભાંગી નાખે છે. માટે જો લગ્ન પહેલાં શારીરિક સંબંધ બાંધવો હોય તો છોકરો અને છોકરી બંને પક્ષે કોઇપણ ભોગે લગ્ન કરવાં જ એવું મનથી નક્કી હોવું જોઇએ તો જ ફિઝિકલી ક્લોઝ થવું જોઇએ.
શારીરિક નિકટતા થઇ ગઇ હોય તો સંબંધ તૂટતાં દુઃખ વધારે લાગતું હોય છે. તેથી આ અંગે સ્નેહાના વિચારો ખોટા નથી, વળી લગ્ન તો થવાનાં જ છે તો પછી શારીરિક સંબંધમાં ઉતાવળ શું કામ કરવી જોઇએ? ઘણીવાર એવું બનતું હોય છે કે છોકરાઓ ઇમોશ્નલી છોકરીઓને શારીરિક સંબંધ બાંધવા માટે મજબૂર કરતાં હોય છે, એવું ન કરતાં થોડા દિવસો થોભી જવું. જો કે આ બાબતે સાવ રોક પણ ન લગાવી શકાય, પણ બંને પાર્ટનરની ઇચ્છા હોય તો શારીરિક નિકટતા કેળવવી જોઇએ, લગ્ન બાદ સુહાગરાતનું પણ એક પોતાનું સૌંદર્ય હોય છે. એકબીજામાં ઓતપ્રોત થઇ જવા માટેનો એ સમય આખી જિંદગી યાદ રહી જવાનો છે, તે સમય તે ઘડી દરેક માટે અમૂલ્ય હોય છે, તેથી ભલે કડલિંગ, કિસિંગ વગેરે કરો પણ મૂખ્ય વસ્તુ બાકી રાખી શકાય છે, આમ તો કપલ્સ માટે કંટ્રોલ કરવો મુશ્કેલ હોય છે, તેમ છતાં જો એ કંટ્રોલ થઇ જશે તો લગ્ન બાદની ફર્સ્ટ નાઇટની ખુશી અને મહીમા બંને બમણાઇ જશે. વળી ફોર્સફુલ્લી પાર્ટનરને તૈયાર ન કરવા જોઇએ.